Wednesday, June 27, 2012

પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી ની ક્વિઝ

મિત્રો નમસ્કાર
અહીં પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીને અનુલક્ષીને ક્વિઝ બનાવેલ છે જેમાં દરવખતે નવા જ દાખલા આવશે જેના માટે ૪ વિકલ્પો પણ આપવામાં આવ્યા છે જે પૈકી ૧ વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે.
નીચે એક ઝીપ ફાઈલ આપવામાં આવી છે જેને extract કરી સેવ કરી તેનો ઉપયોગ કરી શકશો. આ ક્વિઝનો આપના કોમ્પ્યુટરની કોઈ પણ operating system (windows, ubuntu) માં ઉપયોગ કરી શકશો.

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Saturday, June 23, 2012

શૈક્ષણિક સાહિત્ય આવી રહ્યું છે

મિત્રો ટૂંક સમયમાં જ ધોરણ ૬ થી ૮ના અલગ અલગ  વિષયોની પ્રકરણ પ્રમાણે ક્વિઝ પ્રસિધ્ધ કરવામાં આવશે તો આ બ્લોગની મુલાકાત લેતા રહેજો

Monday, June 4, 2012

રમૂજની રંગોળી – સંકલિત


[1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’
યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’
અજિતે મુંઝાતા પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી પહેલો સવાલ કયો ગણવો ?’
‘શું તમે રસોઈ માટેનો સામાન ખરીદવા માટે કાંઈ કમાઈ શકો છો ?’ યુવતીએ પૂછ્યું.
[2] અમેરિકન યુવતી પેટ્રીકાએ તેના બોયફ્રેન્ડને ઘેર બોલાવ્યો અને પપ્પા એલેક્સને કહ્યું : ‘હું તેની સાથે લગ્ન કરવા માગું છું.’
થોડી વાતો કર્યા પછી એલેક્સે પેટ્રીકાને કહ્યું : ‘તું તેની સાથે લગ્ન ન કરી શકે, કારણ કે અંગત વાત કરું તો તે તારો ભાઈ થાય.’ પેટ્રીકાનાં લગ્નના બીજા ચાર પ્રયત્નોમાં પણ લગ્નની વાત આ મુદ્દા ઉપર આવીને અટકી ગઈ. આખરે ધૈર્ય ગુમાવીને પેટ્રીકાએ એક વખત તેની મમ્મીને પરખાવ્યું :
‘મમ્મી, તેં તારી આખી જિંદગીમાં કર્યું શું ? પપ્પા બધે જ ફરી વળ્યા છે. મેં લગ્ન માટેના પાંચ મુરતિયા દેખાડ્યા અને તે બધા જ મારા ભાઈ નીકળ્યા.’
તેની મમ્મીએ ઠાવકાઈથી જવાબ આપ્યો : ‘મૂંઝાઈશ નહીં દીકરી, તને જે ગમે તેની સાથે લગ્ન કરી લે. એલેક્સ હકીકતે તારા પપ્પા નથી !’

[3] એક દિવસ એક સ્ત્રીનો પતિ રાતના ઘરે આવતાં એની પત્નીએ કહ્યું :
‘જાવ, આજે હું તમારી સાથે વાત નથી કરવાની.’
‘કેમ ?’ પતિએ પૂછ્યું.
‘યાદ કરો…. આજે સવારે ઘરેથી જતાં જતાં તમે મને શું કહ્યું હતું ?’
‘વારુ, તું જ બતાવ કે, મેં શું કહ્યું હતું ?’ પતિ બોલ્યો.
‘તમે કહ્યું હતું કે સાંજના તમે વહેલા આવીને મને હવા ખાવા લઈ જશો.’ પત્નીએ યાદ અપાવ્યું.
‘તો એમાં નારાજ થવાની શું જરૂર છે વ્હાલી ? ખુશ થા કે હવે તો આપણે હંમેશા હવા જ ખાવાની છે.’ પતિએ કહ્યું.
‘એ કઈ રીતે ?’ પત્નીએ પૂછ્યું.
‘એ રીતે કે મકાનમાલિકે ઘર ખાલી કરાવવા માટે નોટિસ આપી દીધી છે કારણ કે એક વરસનું ભાડું ચઢી ગયું છે. તેથી હવે આ ઘર આપણે છોડવું જ પડશે. એટલે પછી આપણે હંમેશા હવા જ ખાતા રહેવાનું છે !’
[4] શીલા એની બહેનપણી ચંપાને ઘેર ગઈ. ત્યાં તેણે જોયું તો ચંપાના છ મહિનાના છોકરાને માળિયામાં સૂવડાવ્યો હતો. શીલાએ નવાઈ પામતા કારણ પૂછ્યું.
ચંપાએ જવાબમાં કહ્યું : ‘શું કરું, રસોઈ કરતી વખતે બાબો પલંગ ઉપરથી પડી જતો ત્યારે અવાજ નહોતો આવતો. એટલે માળિયામાં સૂવરાવ્યો છે, જેથી પડી જાય તો તરત ખબર તો પડે !’
[5] ચંપકે પત્ની સરલાને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે ચંપક હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ ‘રા.જા. 50 રૂ., રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.’ એવું લખેલું હતું. અંતે ચંપકથી ન રહેવાયું, તેણે પત્નીને પૂછ્યું : ‘આ રા.જા.નો શું અર્થ થાય ?’ સરલાએ સહજતાથી કહ્યું : ‘રા.જા. નો અર્થ છે રામ જાણે !’
[6] સિનેમાનો ડોરકીપર દાંતમાં દુખાવો થતાં ડૉક્ટર પાસે ગયો.
‘ડૉક્ટરસાહેબ, દાંત બહુ દુઃખે છે.’
ડૉક્ટર : ‘મોં પહોળું કરો જોઉં, કયો દાંત દુઃખે છે ?’
ડોરકિપર : ‘બાલ્કનીમાં ડાબેથી ત્રીજો.’
[7] એક સ્ત્રી એક દિવસ કૂવા આગળ પાણી ભરવા ગઈ. કૂવામાં એણે પોતાનો પડછાયો જોયો. એ જોઈને તે ગભરાઈ ગઈ અને દોડતી દોડતી ઘરે પાછી આવી. એણે એના પતિને કહ્યું :
‘કૂવામાં કોઈ ચોર હોય એમ લાગે છે.’
આ સાંભળીને એના પતિએ કહ્યું : ‘ચાલ, હું તારી સાથે આવું છું. જોઉં છું કે કોણ ચોર કૂવામાં ઘૂસેલો છે.’
પત્નીને લઈને એ કૂવા આગળ આવ્યો અને અંદર ડોકાઈને જોયું તો કૂવામાં એને બે પડછાયા દેખાયા. એ જોઈને પતિ બોલ્યો : ‘ચોર એકલો નથી જણાતો. એની પત્ની પણ સાથે જ લાગે છે !’
[8] નર્કમાં રહેલા લોકોમાંથી કેટલાક દીવાલ તોડીને સ્વર્ગમાં પહોંચી ગયા. સ્વર્ગના મેનેજરે નર્કના મેનેજરને ચેતવણી આપી, ‘તમારા લોકોને સીધી રીતે પાછા બોલાવી લ્યો. નહીંતર હું કેસ કરીશ.’
નર્કના મેનેજરે ઠંડા દિલે જવાબ આપ્યો : ‘કરો. શોખથી કેસ કરો. પણ યાદ રાખજો, અમારે ત્યાં વકીલોની કમી નથી.’
[9] શિયાળાની ફૂલગુલાબી સવારે બે પાગલો પરસ્પર ફિલસૂફીના અંદાજમાં વાતો કરતા હતા. એક બોલ્યો :
‘એક ને એક દિવસે દરેકે મરવાનું છે. શું એ વાત ખરી છે ?’
બીજો બોલ્યો : ‘હા.’
પ્રતિપ્રશ્ન કરતા પહેલાએ પૂછ્યું : ‘હું વિચારું છું કે જે વ્યક્તિ છેલ્લે મરશે એને સ્મશાન કોણ લઈ જશે ?’
[10] એક સામાન્ય સ્થિતિના માબાપની યુવાન પુત્રીએ પોતાના માટે એક ઘણો શ્રીમંત માણસ શોધી કાઢ્યો હતો. એની માએ એને કહ્યું :
‘મને લાગે છે દીકરી, કે આપણાં જેવા કોઈ સામાન્ય સ્થિતિના માણસને જ તેં પસંદ કર્યો હોત તો તારા માટે વધારે સારું રહેત.’
દીકરી : ‘મા, તું એની ચિંતા ન કર. લગ્ન પછી થોડા મહિનામાં જ હું આ માણસને સામાન્ય સ્થિતિ પર લાવી મૂકીશ.’
[11] બે મિત્રો આપસમાં વાતચીત કરતા હતા.
એકે કહ્યું : ‘યાર, ગઈકાલે રાત્રે મારી પત્નીએ એક સ્વપ્નું જોયું કે એનાં લગ્ન એક લખપતિની સાથે થયાં છે.’
‘તું નસીબદાર છે.’ બીજા મિત્રે કહ્યું.
‘એ કઈ રીતે ?’
‘એટલા માટે કે મારી પત્ની તો આ પ્રકારનાં સ્વપ્નાંઓ દિવસ દરમ્યાન જોયાં કરે છે !’
[12] સીબીઆઈમાં જાંબાઝ ઑફિસરની ભરતી કરવાની હતી. દરેક પ્રકારના બેકગ્રાઉન્ડ તપાસીને, ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ બાદ ત્રણ ફાઈનલ ઉમેદવારો રહ્યા હતાં – બે પુરુષ અને એક સ્ત્રી. ફાઈનલ ટેસ્ટ માટે સીબીઆઈના એજન્ટો એક પુરુષસ્પર્ધકને લોખંડી દરવાજો ધરાવતા રૂમમાં લઈ ગયા.
‘અમે જાણવા માગીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં તમે અમારા આદેશને વળગી રહેશો કે કેમ ? આ રૂમમાં તમારી પત્ની એક ખુરશી ઉપર બેઠી છે. તેને લમણે ગોળી મારી દો.’ એજન્ટોએ સ્પર્ધકને ગન આપતાં આદેશના સૂરમાં કહ્યું.
પહેલો પુરુષ બોલ્યો : ‘તમે મજાક કરો છો ? હું મારી પત્નીને કદી ન મારી શકું.’
‘તો પછી તમે આ જોબ માટે યોગ્ય નથી.’ એજન્ટનો જવાબ હતો.
બીજા પુરુષને પણ એવી જ સૂચના આપવામાં આવી. તેણે ગન લીધી અને રૂમમાં દાખલ થયો. પાંચ મિનિટ સુધી વાતાવરણ સ્તબ્ધ. બાદમાં બીજો પુરુષ આંખમાં આંસુ સાથે બહાર આવતાં બોલ્યો : ‘મેં પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન મારી શક્યો.’
‘તમે શું કરો છો એ જ તમે સમજતા નથી. જાવ, પત્નીને લઈને ઘરે જાવ.’ એજન્ટનો જવાબ હતો.
છેલ્લે મહિલા ઉમેદવારનો વારો આવ્યો. તેને તેના પતિને મારવાનું કહેવામાં આવ્યું. એ મહિલાએ ગન લીધી અને રૂમમાં દાખલ થઈ. એક પછી એક ધડાકાઓ બહાર સંભળાતા હતા અને સાથે દીવાલો સાથે અથડાવાનો પણ અવાજ આવતો હતો. કેટલીક મિનિટો પછી સઘળે શાંતિ છવાઈ ગઈ. દરવાજો ધીરેથી ખૂલ્યો. કપાળેથી પરસેવો લૂછતી મહિલા ઊભી હતી. તે બોલી : ‘તમે લોકોએ મને કહ્યું પણ નહીં કે ગનમાં પ્લાસ્ટિકની ગોળીઓ છે ? આખરે મેં એને ખુરશી વડે જ ઢીબીને પૂરો કરી નાખ્યો !’
[13] અમથો અને કચરો નામના બે મૂર્ખાઓ લગ્નની વાતોએ વળગ્યા હતા. અમથાએ પૂછ્યું :
‘હેં કચરા, લગ્ન વખતે વરરાજા ઘોડાને બદલે ગધેડા ઉપર બેસીને કેમ નથી જતા ?’
કચરાએ કહ્યું : ‘કન્યા એકસાથે બે ગધેડાને જોઈને ડરી ન જાય એટલા માટે.’
[14] મમ્મીએ બાબલાને દૂધમાં ડબલરોટી નાખીને ખાવા આપ્યું. થોડીવારમાં બાબલો રોવા લાગ્યો. મમ્મીએ પૂછ્યું : ‘શું થયું બબલા, કેમ રુએ છે ?’
બાબલો રોતાં રોતાં બોલ્યો : ‘બધું દૂધ તો ડબલરોટી પી ગઈ. હું શું પીશ ?’
[15] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’
‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.
[16] સુમનલાલનો પરિવાર વિવાહનું ચોકઠું ફિટ કરવા રીનાને જોવા માટે ગયો. છોકરા પક્ષથી સુમનનાં વખાણ કરતાં કહેવામાં આવ્યું કે, ‘અમારો સુમન એકદમ ન્યાયપ્રિય, બધાને એક જ નજરે જુએ.’
રીનાનો પક્ષ પણ વખાણ કરવામાં પાછો પડે એમ નહોતો. તેઓએ કહ્યું : ‘અમારી રીના કામઢી બહુ. આખો દી એક પગે ઊભી રહે અને કામ કરતી રહે.’ બંનેનાં લગ્ન પછી ખબર પડી કે સુમનલાલને એક આંખ નહોતી અને રીનાને એક પગ નહોતો !
[17] એક સ્ત્રી પોતાના પતિ પાસે મોટરકાર ચલાવતાં શીખી રહી હતી.
પત્ની : ‘જુઓ, આ સામેની આરસી બરાબર નથી.’
પતિ : ‘કેમ, શું વાંધો છે ?’
પત્ની : ‘એમાં તો પાછળથી આવતી મોટરગાડીઓ દેખાય છે, મારું મોં તો દેખાતું નથી !’
[18] ‘તારું નામ દેસાઈ અને તારી મમ્મીનું નામ પટેલ છે, બરાબર ?’ શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું.
‘હા, મારું નામ તો એ જ રહે ને !’ વિદ્યાર્થી બોલ્યો, ‘મારી મમ્મીએ બીજી વખત લગ્ન કર્યાં છે, મેં થોડા જ કર્યાં છે !’
[19] ફોટોગ્રાફરે સૂચના આપી કે, પત્ની તેના પતિ સાથે ખભા પર હાથ રાખીને ઊભી રહે, જેથી ફોટો સ્વાભાવિક આવે.
પતિએ કહ્યું : ‘મારા ખભા પર હાથ રાખવા કરતાં તે મારા ખિસ્સા પર હાથ રાખશે તો ફોટો વધુ સ્વાભાવિક આવશે.’
[20] ટાઈમપાસ માટે પાર્કમાં બેઠેલા નંદુલાલે બાજુમાં બેઠેલા મગનલાલને પૂછ્યું :
‘તમારી પાસે માચીસ હોય તો આપોને !’
મગનલાલે નમ્રતાપૂર્વક કહ્યું : ‘જી, નથી. લાઈટર છે, આપું ?’
નંદુલાલ કહે : ‘ના, રહેવા દો.’
મગનલાલે આગ્રહ કરતાં કહ્યું : ‘અરે લો, માચીસ હોય કે લાઈટર શું ફેર પડે છે ?’
નંદુલાલે ચિડાતા કહ્યું : ‘ભાઈસાહેબ, હું લાઈટરથી દાંત તો નહીં ખોતરી શકું !’

જીવનઘડતરની વાતો અને પ્રસંગો – રવિશંકર મહારાજ


[1] થાકેલા ભગવાન
કહે છે કે ભગવાન અવતરે છે. અવતરવું એટલે પોતાના સ્થાનેથી નીચે ઊતરવું. હિરણાકશ્યપ થયો, ત્યારે ભગવાન નીચે ઊતર્યા. નહીં માણસમાં કે નહીં પશુમાં, એ નરસિંહરૂપે અવતર્યા અને હિરણાકશ્યપનો નાશ કરીને પાછા ગયા. પણ થોડા વખતમાં પાછું હતું તેનું તે. બલિ આવ્યો, એટલે ભગવાન વામનરૂપે ફરી નીચે ઊતર્યા. ત્રણ પગલાંમાં ત્રિભુવન માપી, બલિના માથા પર પગ મૂકી એને પાતાળમાં મોકલી દે છે.
તળાવમાં લીલ બાઝી હોય તેમાં હાથ ફેરવીએ ત્યાં સુધી પાણી ચોખ્ખું રહે, પણ જેવો હાથ લઈ લીધો કે હતું તેમનું તેમ – એવું વામનના ગયા પછી થયું. એટલે વળી પાછા રામ આવ્યા. બહુ સારું રાજ કર્યું. રામ પણ ગયા.
છેલ્લે કૃષ્ણ આવ્યા. મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. કૌરવ-પાંડવ લડ્યા. છેવટે કોઈ ન બચ્યું. યાદવો પણ અંદરઅંદર કાપાકાપી કરીને મરી ગયા. આ બનાવથી હતાશ થઈ ભગવાન એક પીપળાના ઝાડ નીચે હાથનું ઓશીકું કરી, પગ ઉપર પગ ચઢાવી સૂતા હતા. એમને હરણ માની એક પારધીએ તીર માર્યું, તે ભગવાનને વાગ્યું. એમના પ્રાણ જવાની તૈયારી હતી તે વખતે એમનો સારથિ પાસે હતો, તેણે પૂછ્યું : ‘ભગવાન, કાંઈ સંદેશો કહેવાનો છે ?’
ભગવાને જવાબ આપ્યો : ‘હવે તો હું થાક્યો છું. હવે હું બીજો અવતાર લેવાનો નથી. સંદેશો તો મેં ‘ગીતા’માં જ આપી દીધો છે : માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરી લેવો; કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.’
.

[2] માધીનો છોકરો
અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાંતતાં શીખવ્યું અને દોઢ વરસે તેના સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે : ‘મારી માધીને આપીશ ! મારી માધીને આપીશ !’ એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું : ‘આ છોકરાને માધી ઉપર કેટલો સ્નેહ છે ! હું જાણતો હતો કે માધી તે બાળકની મા નથી. એ છોકરાની મા મરી ગઈ તેથી માધીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. બાળકનો માધી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માધીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો.
એક વાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માધીને ગામ અમે તો ઊપડ્યાં. માધીને ઘેર હું ગયો. તેણે મને પ્રેમથી આવકાર્યો. ફાટીતૂટી એક ગોદડી પાથરી આપીને હસતે મુખે સામે બેસીને વાતો કરવા લાગી. ત્યાં છ-સાત વરસનો એક છોકરો આવીને ધબ દઈને તેના ખોળામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે !
મેં પૂછ્યું : ‘આ કોણ છે ?’
માધી કહે : ‘વાણિયાનો છોકરો છે. મેં ઉછેરેલો.’
મેં પૂછ્યું : ‘કેમ, તારે કેમ ઉછેરવો પડ્યો ?’
બાઈ કહે : ‘તેની મા સુવાવડમાં મરી ગઈ, ને બાળકને આપણાથી રેઢું છોડાય ?’ (માધી સુયાણી હતી)
‘શેઠે શું આલ્યું ?’
‘આલે શું ? – મેં કંઈ લીધું જ નથી, મા’રાજ ! વખતે મફત આપે તેથી ભૂલેચૂકેય તેની દુકાનના ઉંબરે ચડી નથી.’ બાઈએ ખુમારીથી જવાબ વાળ્યો.
‘ત્યારે આ બાળક સાજુંમાંદું થાય ત્યારે દવાદારૂ અંગે શું કર્યું ?’ મારા મનમાં તો હજી આ બધું કોયડારૂપ જ હતું.
થોડી વાર અટકીને બાઈ કહે : ‘એ શું બોલ્યા, મા’રાજ ? એવાં કેવાં છોકરાં ઉછેરીએ કે માંદાં થાય ? માંદાં થાય તો આપણું કાંડું ન કાપી કાઢીએ ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી ! માંદાં પડે તેવાં છોકરાં ઉછેરીએ જ શીદને ?’
.
[3] છે તેટલું તો વાપરો !
એક દિવસ ચાર-પાંચ જુવાનિયા મારી પાસે આવ્યા. વાતવાતમાં તેમણે પૂછ્યું : ‘મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે તમારો શો અભિપ્રાય છે ?’
મને થયું : ‘એમને શો જવાબ આપું ? પણ તરત જ મારાથી કહેવાઈ ગયું : ‘અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો ? – એ ઈંડાંની મૂકનાર માને જ પૂછી જુવોને !’
‘પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો ?’
‘પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ ?’
‘કેમ ? ઈંડાંમાં પુષ્કળ વિટામીન અને પ્રોટીન હોય છે.’ યુવાનોમાંથી એકે કહ્યું.
‘તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો ! – પછી ખૂટે તો વિચારજો.’ અને એના અનુસંધાનમાં ગાંધીજીની એક વાત મને યાદ આવી તે મેં જુવાનોને કહી સંભળાવી :
ગાંધીજી તો પ્રયોગવીર હતા. અનેક જાતના પ્રયોગો કરતા. એમનું જીવન એટલે પ્રયોગ. એક દિવસ ગાંધીજીને વિચાર આવ્યો કે માણસ જો કાચું જ અનાજ ખાવાની ટેવ પાડે, તો એની કેટલીયે વેડફાઈ જતી શક્તિ બચે અને ઓછી વસ્તુમાંથી પણ વધારે તાકાત મેળવી શકે. ગાંધીજીને વિચાર આવ્યો એટલે જોઈએ શું ? પોતાની જાતથી જ શરૂ કરે. એ જ તેમના જીવનની વિશેષતા હતી. મને તેમની આ વાત ગમી ને હું તેમના પ્રયોગમાં જોડાયો. ત્રણ-ચાર દિવસ તો બાપુને આ પ્રયોગથી ખૂબ સ્ફૂર્તિ રહી, પણ પછી તેમને ઝાડા થઈ ગયા. એક દિવસ તેમના ઓરડામાં મારે કાંઈક લેવા જવાનું થયું. બાપુએ મને બોલાવ્યો.
‘તારો પ્રયોગ ચાલે છે ?’ એમણે પૂછ્યું.
‘હા.’ મેં ટૂંકો જવાબ આપ્યો.
‘વજન ઘટ્યું ?’
‘પોણો શેર ઘટ્યું છે.’
‘પણ શક્તિ ?’
‘થોડી ઘટી હોય એમ લાગે છે.’
‘તું શું કામ કરે છે ?’
મેં મારે ભાગે આવતાં બધાં જ કામો ગણાવ્યાં.
‘આ બધું કામ થઈ શકે છે ?’
‘હા, એમાં વાંધો નથી આવતો.’
‘તો પછી શક્તિ થોડી ઘટી છે એમ શા ઉપરથી કહે છે ?’
એ વાણિયાને હું શો જવાબ આપું ! અને પછી બાપુએ જે ભાષ્ય કર્યું તે હું કદી ભૂલી શકું એમ નથી.
‘તને ખબર છે ? ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને ઈન્દ્રિયોમાં વિકાર પેદા કરે છે.’
.
[4] – તો લગ્ન કેમ કર્યું ?
ભાલ-નળકાંઠાના ગામમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વાર પછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઈક લેવા એ ખસી. એ ખસતી હતી ત્યાં મારી નજર તેના પગ ઉપર પડી. પગ પાતળા દોરડી જેવા હતા. મેં સહજ પૂછ્યું : ‘કેમ બહેન, તમારે પગ નથી શું ?’
મારા પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના પતિ તરફ આંગળી કરીને કહ્યું : ‘પૂછી જુઓ એમને, કદી કાંઈ દુ:ખ દીધું હોય તો ! હું દળું છું, રસોઈ કરું છું, વાસણ માંજું છું, ઘર પણ લીંપું છું. માત્ર પાણી એમને ભરવું પડે છે.’
ત્યાં એના પતિએ કહ્યું : ‘મહારાજ, એને પૂછી જુઓ કે કદી દુ:ખ પડવા દીધું છે ? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં ગાડી, મોટર મળી ત્યાં મોટર; પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડીને ડુંગર ઉપર લઈ ગયો હતો ને બધે દર્શન કરાવ્યાં હતાં.’
હું તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. મેં પેલા ઓડને પૂછ્યું : ‘તમે લગ્ન કર્યાં તે પહેલાં આ બાઈ અપંગ છે એ જાણતા હતા ?’
‘હા, જી.’ ઓડે કહ્યું.
‘તો લગ્ન કેમ કર્યું ?’
‘મને થયું કે આ બિમારીની સેવા કોણ કરશે ? આખી જિંદગી દુ:ખી થશે એટલે એની સેવા કરવા મેં તેની સાથે લગ્ન કર્યું.’

ભાર ભરેલું ભણતર – કિરણ ન. શીંગ્લોત


આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ?
આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. કમનસીબે માબાપ અને સમાજ પણ આ માન્યતાથી મુક્ત રહી શક્યા નથી. પરિણામે બાળકોને ચોતરફથી અસહ્ય અપેક્ષાઓનો બોજ સહન કરવાનો આવ્યો છે.
માનવીનું મગજ પેઢી-દર-પેઢી વધારે ને વધારે વિકાસ કરી રહ્યું છે એ ખરું, પણ એના ફેરફારો કંઈ બે કે ત્રણ જ પેઢીના સમયગાળામાં ઊડીને આંખે વળગે તેવા સ્પષ્ટ અને નોંધપાત્ર બનતા નથી. આપણે તો ત્રણથી ચાર દાયકાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણમાં પ્રયોગશીલતાના નામે આકરા ફેરફારો અમલમાં મૂક્યા છે. કુમળા બાળકનું મગજ તે બોજ ઉઠાવી શકે તેમ છે કે નહીં તેનો આપણે કદી વિચાર કર્યો નથી.
આજનું બાળક વધારે બુદ્ધિશાળી બન્યું છે એવું જો આપણે માનતા હોઈએ તો એ આપણો નર્યો ભ્રમ છે. સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ તેનો સામનો કરવાની નવી નવી ક્ષમતાઓ માનવ મગજે કેળવવી પડે છે. બાળમાનસને પણ આ હકીકત લાગુ પડે છે. અત્યારનો યુગ માહિતીનો યુગ ગણવામાં આવે છે. આગલી પેઢી કરતાં આજની નવી પેઢીને ઘણી વધારે માહિતીઓ યાદ રાખવાની અને ગોખવાની પળોજણનો સામનો કરવો પડ્યો છે. માણસનું મગજ અમુક હદ સુધી આ માટે તૈયાર થઈ શક્યું છે એ ખરું, છતાં એની બુદ્ધિમત્તા વધી ગઈ છે એવું તારણ કાઢવું વધારે પડતું છે. માણસની ભણવાની સરેરાશ ઉંમર 25 જ વર્ષ સુધીની ગણીએ તો અગાઉ શાળા-મહાશાળાના શિક્ષણનાં વર્ષો પૂરાં કરતાં સુધીમાં આપણે જેટલું ઔપચારિક માહિતીજ્ઞાન પ્રાપ્ત કરતા તેના કરતાં અનેકગણું વધારે જ્ઞાન એટલા જ ટૂંકા ગાળામાં આજનાં બાળકોને મેળવવાનું આવ્યું છે. પહેલાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ કૉલેજના બીજા કે ત્રીજા વર્ષ સુધીમાં સમાવવામાં આવતો તે આજે હવે અગિયારમા કે બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં સમાવી લેવાની આજના કેળવણીકારોને ફરજ પડી છે. આમ કરવામાં સ્પર્ધાનું તત્વ કામ કરી ગયું છે. ગુજરાતનો સરેરાશ વિદ્યાર્થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધામાં ઊભો રહી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે 1975ની સાલ પછી સતત ફેરફારો કરાતા રહ્યા છે. આમ કરવામાં બાળકના મગજની ક્ષમતાનો જરાપણ વિચાર કરવામાં આવ્યો નથી તે હકીકત છે. એક આખી ને આખી પેઢીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સમાન સ્તરે સ્પર્ધાત્મક રીતે આગળ લઈ જવાનું જાણે કે એક સામાજિક અને રાજકીય કાવતરું કામ કરી રહ્યું છે. પરિણામે બાળક જે જ્ઞાન મેળવે છે તે કેવળ માહિતીલક્ષી અને પાઠ્યપુસ્તકિયું બનીને રહી ગયું છે. આવું શિક્ષણ આપવાથી ત્રણથી ચાર દાયકાના ટૂંકા ગાળામાં તે વધારે બુદ્ધિશાળી બની ગયું છે એવું માનવું ભારોભાર ભૂલભરેલું છે. આમ માનીને આપણે તેના પર વધારે ને વધારે બોજ નાખતા ગયા છીએ.

માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા વચ્ચેનો તફાવત
વાસ્તવમાં માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા એ બંને વચ્ચે તફાવત છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. જ્ઞાનાત્મક વિકાસમાં બાળક પ્રથમ માહિતીજ્ઞાન મેળવે છે અને પછીના ચરણમાં બુદ્ધિમત્તા કેળવતું હોય છે. પ્રાપ્ત કરેલી માહિતીને સાર્થક રીતે વ્યવહારમાં ઉપયોગમાં મૂકતા થવું એ બુદ્ધિમત્તા છે. આ કાર્ય એના મગજ પર માહિતીઓનો ખડકલો કરી દેવાથી હાંસલ થતું નથી. એને શાળામાં જે ભણાવવામાં આવે છે તે કેવળ પાઠ્યપુસ્તકિયું અને ઉપલકિયું હોય છે. તેમાં વ્યવહારનો અંશ ભળેલો હોતો નથી. કોરા માહિતીજ્ઞાનને પોતાની મર્યાદાઓ છે; તેમ સમસ્યાઓ પણ હોય છે, એનાથી આપણી બુદ્ધિમત્તા કેળવાતી નથી. નવા શિક્ષણે બાળકોને માહિતીપ્રચૂર જરૂર બનાવ્યાં છે, પણ બુદ્ધિશાળી નહીં.
નવી પેઢીનાં બાળકોના ઉછેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક મહત્વનો તફાવત જોવા મળ્યો છે, જેણે એની બુદ્ધિમત્તા પર અવળી અસર પેદા કરી છે – એને પસંદગીની વિશાળ તકો અને શ્રેણી ઉપલબ્ધ બની છે. પહેરવાનાં કપડાં, રમવાનાં રમકડાં, ખાવાપીવાની ચીજો, મનોરંજનના સાધનો, ટીવીની ચેનલો અને હરવા-ફરવાનાં સ્થાનોથી માંડીને ભણવાના વિષયોમાં એને ઘણી પસંદગીઓ મળી રહે છે. કારકિર્દીના ઘડતર બાબતમાં અગાઉની પેઢીઓ પાસે જે પસંદગીઓ હતી તેની સરખામણીમાં આજની પેઢીને વધારે પસંદગીનો અવકાશ મળે છે. બારમા ધોરણ પછી શું કરવું તે નક્કી કરવા માટે આજનો વિદ્યાર્થી વધારે વિકલ્પો ધરાવતો હોય છે. પણ જેમ જેમ એની પાસે પસંદગીના વિકલ્પો વધતા ગયા છે તેમ તેમ એની બુદ્ધિ પણ ગૂંચવાતી ગઈ છે. મનોવિજ્ઞાનનું એક સરળ તથ્ય છે કે સુખ પસંદગીઓના અને વિકલ્પોના વિસ્તારમાં નથી પણ તેને મર્યાદિત બનાવવામાં રહેલું હોય છે. માણસ સમક્ષ જેમ જેમ વધારે ને વધારે પસંદગીઓ મૂકો તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે, તેની ગૂંચ વધતી જાય છે અને તેની વિવેકશક્તિ વધારે મૂંઝાવાને કારણે નિર્ણય લેવામાં ભૂલ કરવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. બરાબર આ જ હાલત આજની ઊછરી રહેલી પેઢીની થયેલી જોવા મળે છે. એની સુખની માત્રા ઘણી ઘટી છે અને સામે પક્ષે અસંતોષ, લોલુપતા, ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને લોભ અનેકગણાં વધી ગયાં છે. આનું આડકતરું પરિણામ એ આવ્યું છે કે નવી પેઢી ભારોભાર માનસિક ગૂંચવણની સ્થિતિમાં પોતાનો અભ્યાસ અને વ્યવસાયની કારકિર્દી ઘડી રહી છે. આનો દોષ આપણા માથે છે. આપણે આપણાં સંતાનોને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છીએ. અતિશય માનસિક તાણમાં જીવવાની આપણે એમને ફરજ પાડી રહ્યા છીએ. પરિણામે યુવાન પેઢીમાં હતાશા, અસંતોષ અને આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દસમા ધોરણની પરીક્ષા કે એનું પરિણામ હજુ તો એકાદ બે મહિના દૂર હોય ત્યાં જ એના ગભરાટથી પોતાનું જીવન ટૂંકાવી નાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા રાજ્યમાં દર વર્ષે વધી રહી છે છતાં આપણી આંખ હજુ કેમ ઊઘડતી નથી એ સમજાતું નથી !
શાળાઓ બાળકોના શિક્ષણમાં અંતરાયરૂપ છે !
બાળક માત્રમાં શીખવાની જન્મજાતવૃત્તિ રહેલી હોય છે. બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને એમના વાતાવરણના સંપર્કથી આપમેળે શીખવા માટે નિરંતર વિકસતી જતી જ્ઞાનેન્દ્રિયો, શીખવા માટે સતત સતર્ક મગજ, આવશ્યક કુતૂહલવૃત્તિ, અવલોકનશક્તિ, પ્રયોગશીલતા, એકાગ્રતા, તન્મયતા, અપાર ધીરજ, અનુકરણશક્તિ, કલ્પનાશીલતા અને સૌથી વધુ તો ભૂલોમાંથી શીખવાની સહજ આવડતની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કમનસીબી એ છે કે શાળામાં મૂક્યા પછી એ પોતાની આ બક્ષિસ ગુમાવી બેસે છે અને ગોખણિયું બની જાય છે. શાળાઓ બાળકોને પરીક્ષાના, માનહાનિ, અણઆવડતના, નિષ્ફળતાના, ગૂંચવાડાના અને ડરપોકપણાના ઓથાર તળે જીવતાં કરી મૂકે છે. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ કે ગણિત, વિજ્ઞાન અને વાચન-લેખનની કુશળતામાં જ બાળકના ભાવિ જીવનની સફળતા અને સુખનો પાયો છે. વાસ્તવમાં શાળાશિક્ષણ જીવનલક્ષી નહીં, પણ કેવળ વ્યવસાયલક્ષી અને કારકિર્દીલક્ષી જ બનીને રહી ગયું છે. ગોખણપટ્ટી કરીને મેળવેલું માહિતીજ્ઞાન જ્યારે જીવનની વાસ્તવિક કપરી પરિસ્થિતિઓમાં કામે લગાડવાનું આવે છે ત્યારે એ અણીને વખતે દગો દઈ જાય છે, તેથી સમાજમાં હતાશા અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની અંદર રહેલી રસવૃત્તિ, કુતૂહલ શક્તિ, શારીરિક અને માનસિક ક્ષમતા, બુદ્ધિમત્તા, સૃજનાત્મકતા અને કલાત્મક અભિરુચિને પોષવાની આપણી શાળાઓમાં કાબેલિયત નથી. આપણે આપણાં બાળકોને વિષયલક્ષી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, દફતર, ગૃહકાર્ય, નિરસ ઈતર પ્રવૃત્તિઓ, અંગ્રેજી ભાષાના પારકા માધ્યમાં ભણવાની લાચારી, ટ્યુશન, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક મૂલ્યાંકનો, સતત આગળ રહેવાની હોડ અને આપણી બેસુમાર અપેક્ષાઓનો બોજ વહન કરનારા વેઠિયાઓ બનાવી મૂક્યાં છે. આપણે એવી ભૂલભરેલી ગ્રંથિથી પીડાઈએ છીએ કે બાળકોને સભ્યતા, નાગરિકતા અને સામાજિકતાના પાઠ શીખવવા માટે સ્કૂલો અનિવાર્ય છે. એમને સ્કૂલમાં ન બેસાડીએ તો એ અણઘડ અને ગમાર રહી જશે એવો આપણને ડર સતાવે છે.
વિખ્યાત રશિયન કેળવણીકાર વસીલી સુખોમ્લિન્સકી કહેતા કે આપણી શાળાઓ કેદખાના જેવી છે, એ આપણાં બાળકોને જીવનના સમૃદ્ધ અનુભવથી વંચિત રાખે છે. ચંચળતા, નિર્દોષતા અને આનંદ મેળવવાની સહજ વૃત્તિ એ બાળક માત્રની નૈસર્ગિક શક્તિ હોય છે. શાળાઓ એમની આ સંપત્તિને છીનવી લે છે. વખત જાય તેમ એ જીવનને માણવાની આવડત ગુમાવી બેસે છે અને અતિગંભીર અને ભારેખમ બનતું જાય છે. જીવનને એ બોજ માનતું થઈ જાય છે. કામ એના માટે વેઠ બની જાય છે. એની અંદરનું બાળક કાયમ માટે મરી જાય છે. ભણતર પૂરું કરીને બહાર નીકળે ત્યાં સુધીમાં તે સ્વાર્થી, ખટપટિયું, સંકુચિત, આપમતલબી અને વેઠિયું બની જાય છે, એ જ આજના શિક્ષણની આગવી દેન છે. જે ભણતરથી માણસ માણસ મટી જાય એને આપણે સામાજિકતાના પાઠ શી રીતે કહી શકીએ ?
ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધારે પડતો મદાર ન રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે. આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી, એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !

પંચામૃત અભિષેક – ભૂપત વડોદરિયા

[1] માણસ એકલો જીવી ન શકે !
ક મિત્રે કહ્યું : ‘સવારમાં અખબારો પર નજર પડે છે અને મોંમાં તેમ જ મનની અંદર કડવાશ ફેલાઈ જાય છે. અખબારોનાં કેટલાંક મથાળાં આંખમાં વાગે છે. ‘પતિએ પત્નીને જીવતી સળગાવી દીધી’, ‘પોતાના નાનકડા પુત્રની સાથે સ્ત્રીએ અગ્નિસ્નાન કર્યું’, ‘એક પુત્રે પિતા ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો’, ‘એક પિતાએ પુત્ર ઊંઘતો હતો ત્યારે તેની હત્યા કરી’….. પ્રશ્ન વારંવાર મનમાં એક જ ઊઠે છે – બહાર તો ચોતરફ હિંસાનાં પૂર ઊછળે છે પણ કુટુંબજીવનમાં પણ આટલી હિંસા ? આટલી હદે કૌટુંબિક સંબંધોમાં નિષ્ઠુરતા અને અમાનુષી વ્યવહાર ? આપણો સમાજ બહારથી તો સુખી-સમૃદ્ધ દેખાય છે. પણ બહારના દેખાવની અંદર આ જે યાદવાસ્થળી જેવું દશ્ય જોવા મળે છે તે તો એક ગંભીર બીમારી જ નથી ? વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે જ્યાં લોહીનો કે પરિવારનો સંબંધ છે ત્યાં આટલી હિંસા ? આનું કારણ શું ?’
વાસ્તવિક ચિત્ર આજે આ જ છે તે તો કબૂલ કરવું જ પડે પણ એક બાજુ આપણે આપણી જાતને ‘સંસ્કારી’, ‘સુશિક્ષિત’ ગણાવીએ છીએ અને બીજી બાજુ આપણે ત્યાં જે જોવા મળે છે તેમાં ક્યાંય ‘સંસ્કાર’ કે ‘શિક્ષણ’નું નામોનિશાન જોવા મળતું નથી. વિચારવો પડે તેવો આ એક ગંભીર પ્રશ્ન છે. આપણા ‘સંસ્કાર’ અને ‘શિક્ષણ’ માત્ર બહારનો એક વેશ જ છે ? આપણી અંદર તો હિંસાના આશ્રયે જીવતો મનુષ્ય મનુષ્યના વેશમાં એક પશુ જ છે તેમ સમજવું ? સમાજવિજ્ઞાનીઓએ વિચારવો પડે એવો આ એક ગંભીર પ્રશ્ન નથી ?

અહિંસાને પરમ ધર્મ માનનારી, દયાને ધર્મનું મૂળ માનનારી, ક્ષમાને જ ધર્મ માનનારી આપણી સંસ્કૃતિનો વિચાર કરીએ તો આપણને આઘાતની લાગણી જ થાય. એવું લાગે છે કે, આપણે કેટલી હદે સ્વાર્થી અને એકલપેટા બની ગયા છીએ કે આપણને આપણી પોતાની જાત સિવાય બીજું કશું નજરે જ પડતું નથી. નથી પત્ની દેખાતી, નથી સંતાન દેખાતાં અને માતા-પિતા પણ જોઈ શકાતાં નથી. પોતે માની લીધેલા પોતાના હિત કે સ્વાર્થ ખાતર આપણે લોહી કે લાગણીના ગમે તે સંબંધને ફોક ગણી શકીએ છીએ. ધીરે ધીરે હિંસાની આ વૃત્તિ આપણાં બાળકોમાં પણ વકરી રહી હોય તેવું દેખાય છે. બાળકો માત્ર ગમ્મતના ખ્યાલથી પાળેલા પ્રાણી-પંખી સાથે જે વ્યવહાર કરે છે તેમાં પરપીડનની તીવ્ર વાસના સિવાય કશું જ દેખાતું નથી. આપણે જેને ‘શિક્ષણ’ કહીએ છીએ તેમાં માત્ર નિર્જીવ માહિતીના ગંજ સિવાય કશું જ નથી અને આપણે જેને ‘સભ્યતા’ કે ‘સંસ્કાર’ ગણીએ છીએ તે માત્ર આપણું બહારનું એક મહોરું અને વેશથી વધુ કશું જ નથી. ‘વસુધૈવ કુટુંબકમ’ માનનારી આપણી સંસ્કૃતિનો લગભગ હ્રાસ થઈ ચૂક્યો હોય તેવું નથી લાગતું ? કોમ અને ધર્મના ભેદભાવથી પણ વિશેષ એક ‘ભેદભાવ’ જોવા મળે છે : જાણે માણસ જ માણસને ધિક્કારે છે !
પોતાની જાત સિવાય બીજા કશાનો વિચાર તેને આવતો નથી. અંદરનું કોઈ વેણ હોતું જ નથી. માત્ર એક દેખાવ, એક વેશથી વિશેષ કશું જ જોવા મળતું નથી. માણસ પોતાને ‘બુદ્ધિશાળી’ ગણે પણ તેને એટલું પણ સમજાતું નથી કે કોઈ માણસ એકલો તો જીવી જ ના શકે. માણસને એટલું પણ યાદ રહેતું નથી કે અંધારામાં અને એકાંતમાં તો પોતે ગૂંગળાઈ મર્યાની લાગણી અનુભવે છે તો, જાણી જોઈને ઠેરઠેર ‘અંધારાં’ અને ‘એકાંત’ કેમ પેદા કરી રહ્યો છે ? જૂના જમાનાના માનવીઓ આપણાથી સંભવતઃ વધુ સમજદાર હતા. આપણી કહેવાતી કેળવણી માત્ર બુદ્ધિની કેળવણી છે – જૂના જમાનાની તળપદી કેળવણી ખરેખર હૃદયની કેળવણી હતી. એ સમજતી હતી અને બુલંદ અવાજે કહેતી પણ હતી કે, જંગલમાં એકલું ઝાડ પણ ના હજો. એક જ એકલું વૃક્ષ નહીં – વૃક્ષોનું પણ એક નાનકડું કુટુંબ ! માણસ પણ એકલો કઈ રીતે રહી શકે ?
.
[2] સાચો મિત્ર કોને કહેવાય ?
ભાવનગરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને શામળદાસ કૉલેજમાં સાથે ભણેલાં એક વર્ષો જૂના મિત્રે પ્રશ્ન કર્યો : ‘તમારી દષ્ટિએ સાચો મિત્ર કેવો હોય ?’ એમના પ્રશ્નનો જવાબ એ હતો કે સાચો મિત્ર એને કહેવાય કે સુખ-દુઃખમાં સાથે રહે. આપણું સુખ દેખીને રાજી થાય. આપણી ઈર્ષા ના કરે અને આપણા સુખમાં તેનો પોતાનો પણ ફાળો છે એવું સમજીને સુખમાં ભાગ ના માગે. તમે દુઃખમાં આવી પડો તો એ દુઃખની વાત કરીને તમારા દોષો અને છિદ્રો આગળ ના કરે. તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુઃખી થાય. પોતાનાં અંગત દુઃખ અને તમારાં સુખ – એણે જાતે માની લીધેલા સુખની તુલના ન કરે.
મિત્રે બીજો પ્રશ્ન કર્યો : ‘સુખ-દુઃખના સવાલમાં પત્નીનો ધર્મ શું ?’
દરેક પુરુષના સુખ-દુઃખમાં તેની પત્ની તો ઈચ્છે કે ના ઈચ્છે ભાગીદાર હોય જ છે. સારી પત્ની એ કહેવાય કે જે દુઃખમાં પતિની આગળ ચાલે અને સુખમાં તેની પાછળ ચાલે. કોઈ પણ સંસારમાં પતિ ગમે તેટલી મોટી છાતીવાળો હોય, એ નાની કે મોટી છાતીમાં તો તેની પત્ની જ હિંમત ભરી શકે, હૂંફ આપી શકે. પુરુષનું સૌથી મોટું સૌભાગ્ય એ કહેવાય કે જે માણસ વિશે મિત્રો, સંબંધીઓ, સાથીઓ બધા ગમે તેટલી ગેરસમજ કરે – પત્ની શંકામાં ના પડે. અહીં વાત પતિમાં આંધળો વિશ્વાસ મૂકવાની નથી. અહીં મુદ્દો એટલો જ છે કે પુરુષની હિંમત, કાર્યશક્તિ, નિષ્ઠા એ બધામાં શંકા કરનાર અને અવિશ્વાસ કરનારા ઘણા બધા હોઈ શકે – એ સંજોગોમાં પત્ની તેના પુરુષમાં આંધળો નહીં – શ્રદ્ધામાંથી જાગેલો વિશ્વાસ મૂકે.
એક તદ્દન જાણીતી વાત છે. પુરુષની દરેક સફળતા પાછળ એક નારી – મહદ અંશે પત્ની – ઊભી હોય છે અને એ જ રીતે પુરુષની સરિયામ નિષ્ફળતા અને નાસીપાસીની પાછળ પણ તેની પત્ની ઊભી હોય છે – જાણીજોઈને નહીં તો અજાણ્યે એ નિમિત્ત બનતી હોય છે. આપણે અનેક કિસ્સામાં જોઈએ છીએ કે પતિની સફળતાનો યશ પત્ની લે છે અને નિષ્ફળતાના દોષનો ટોપલો પતિના માથે મૂકે છે. ખુદ પુરુષો પણ આવી મનોવૃત્તિથી મુક્ત નથી હોતા. સફળ થશે તો પોતાના જ પરાક્રમની કથા કહેશે, પણ નિષ્ફળ જશે તો કાં પત્નીનો અગર પત્નીના નસીબનો વાંક કાઢશે. પતિને ગમે તેટલા સારા-સાચા મિત્રો હોય, તેનો શ્રેષ્ઠ મિત્ર – અને રાત-દિવસનો સાથી તો તેની પત્ની જ હોય છે. પુરુષ ગમે તેટલો હિંમતવાળો હોય, તે કદી ‘બાળક’ મટી શકતો નથી. તેની પોતાની માતા પછી પત્ની જ તેના બાળપણ અને યૌવનના આવેગોની માર્ગદર્શક બની રહેતી હોય છે. પુરુષસહજ ભ્રમરવૃત્તિના લીધે પત્નીથી દૂર ચાલ્યા ગયેલા પુરુષો છેવટે હાર્યા-થાક્યા પત્ની પાસે જ પાછા ફરીને તેના ખોળામાં માથું મૂકે છે. ઘરની બહારના પુરુષના આસક્તિના તમામ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આંચ આવે છે. છેવટે ઘર એ જ છેવટનો સહારો બને છે અને ઘર એટલે ગૃહિણી. ગમે તેટલા દૂર ભાગો, છેવટે ત્યાં જ પાછા ફરવું પડે છે. હારેલા-થાકેલા પુરુષનો મોક્ષ છેવટે ત્યાં જ છે.
એવા એક વિદ્વાન મિત્ર તેની પત્નીને છોડીને બીજી સ્ત્રીના મોહમાં તેના આશ્રયે ગયા. રોમાંચક સંબંધની વરાળ તરત ઊડી ગઈ અને એ બીજી નારીની સાથે નવા સ્નેહસંબંધનું એક વૃક્ષ તો ખડું કર્યું, પણ વૃક્ષનાં ખાસ મૂળ નહોતાં અને હોય તો ખાસ ઊંડા તો નહોતા. એ મિત્ર બીમાર પડ્યા ત્યારે બીજી સ્ત્રીએ તેનો ત્યાગ કર્યો. એ પરિણીત પુરુષ તેને વશ જરૂર થયો હતો, પણ તેને જીતી શક્યો નહોતો. જે છીનવી લીધું હોય છે તેને કોઈકની સગવડની પળે છોડી દેતાં બીજી વ્યક્તિને ખાસ કોઈ આંચકો લાગતો નથી કે અફસોસ પણ થતો નથી. એક મુરબ્બીની પાસે પ્રેમાવેશમાં એક પુરુષે પોતાના ગૃહત્યાગના નિર્ણયની વાત કરી ત્યારે મુરબ્બીએ કહ્યું : ‘ઠીક છે, પણ ઘેર પાછા ફરવાનો માર્ગ તદ્દન બંધ કરી નહીં દેતા. આ સંસારમાં પુરુષનું મન જ્યારે ભટકી જાય છે ત્યારે તેને યાદ પણ રહેતુંનથી કે જૂની મંજિલ છોડનારાઓને આસાનીથી બીજી એવી કોઈ મંજિલ મળતી નથી કે જેને છોડવાનો વારો વહેલો કે મોડો ના આવે !’
આખી વાતનો મૂળ મુદ્દો એ છે કે દરેક માણસને પોતાના મનની ચંચળતાનો મુકાબલો કરવો જ પડે છે. તેને બેકાબૂ અશ્વ સમજીને પણ ક્યાંક ખીલે બાંધવું પડે છે કે છેવટે ગમે તે જોખમ જાતે લઈને તેની લગામને બરાબર પકડી રાખવી પડે છે. મનને મારી શકાતું નહીં હોય, પણ તેને છેવટે પ્રબળ ઈચ્છાશક્તિથી અંકુશમાં તો લેવું જ પડે છે.

સંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા

દશેક વરસ પહેલાંની વાત. સમય દિવસના દોઢેક વાગ્યાનો થયો હશે. હું જમીને ઘડીક વામકુક્ષી કરવા પલંગમાં આડે પડખે થઈ કંઈક વાચન કરતો હતો. ધીરે ધીરે આંખો ઘેરાવા માંડી હતી. એવામાં કોઈએ ડેલીનું બારણું ખટખટાવ્યું. ‘કોણ હશે ?’ પ્રશ્ન સાથે ઊઠીને જોયું તો ઘર આગળ એક ગાડી ઊભી હતી. એના ડ્રાઈવરે બારણું ખટખટાવ્યું હતું.
ગાડીમાંથી એક શિક્ષિત અને જાજરમાન કુટુંબના સભ્યો – ચાલીસેક ઉંમરનો પુરુષ, એમનાં પત્ની, બે કિશોરવયની પુત્રીઓ અને એક પુત્ર – એક પછી એક ઊતર્યાં. હું ડેલીના બારામાં ઊભો ઊભો જોતો હતો. કંઈ ઓળખાણ પડતી ન હતી. મારે મન બધાં અજાણ્યાં હતાં. ગાડીમાંથી ઊતરતાંવેંત એ ભાઈએ મને પ્રશ્ન કર્યો :
‘રણછોડભાઈ પોંકિયા તમે ?’
‘હા, હું જ રણછોડભાઈ….’ મેં બધાને આવકાર્યા. સૌને હાથ જોડીને નમન કરવાની ચેષ્ટા સાથે વિવેક કર્યો. હું અચરજ અને સંકોચ પામીને થોડું પાછળ ખસ્યો.
‘મને ઓળખ્યો ?’ આવનારભાઈએ પૂછ્યું.
‘અંદર આવો… પાણીબાણી પીવો… ઓળખાણ તો પડી નથી પરંતુ કંઈક ઠંડુ કે ગરમ લઈને પછી તમે જ ઓળખાણ પાડજો….’ મેં સ્વાભાવિક વિવેક કર્યો.

તેઓ બોલ્યા : ‘હું જનુભાઈ મહેતા – તમારી સાથે જે સર્વિસ કરતા હતા એમનો પુત્ર મનહર અને આ મારો પરિવાર. નાનપણે હું તમારી આંગળીએ ખૂબ રમ્યો છું. એ બધું હજું મારા મનમાં તાજું થયા કરે છે….’
‘ઓહોહો….! ભાઈ મનુ……. કેટલાં વરસ થઈ ગયાં ! અહીં હતો ત્યારે સાવ નાનો હતો. હવે તો તુંકારો કરતાંય સંકોચ થાય છે…..’ હું ખૂબ ખુશ થઈને લાગણીવશ થઈ ગયો. બધાંને મેં ઘરમાં બેસાડ્યાં. યોગ્ય આસન આપી ચા-પાણી પાયાં. જમવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ તેઓ વચ્ચેના શહેરમાંથી જમી-પરવારીને નીકળ્યા હોવાનું જણાવતાં હું આગ્રહ છોડીને અતીતમાં ખોવાઈ ગયો.
સને 1960-61ની આસપાસમાં જનુભાઈ વી. મહેતા અમારા ગામ મજેવડીમાં ગ્રામપંચાયતના તલાટી/મંત્રી હતા. હું ગ્રામપંચાયતમાં કલાર્ક તરીકે એમના હાથ નીચેનો કર્મચારી હતો. અમારી ઑફિસની સામે જ પંચાયતના કમ્પાઉન્ડમાં મંત્રી-ક્વાર્ટર હતું. એમાં જનુભાઈ કુટુંબ સાથે રહેતાં હતાં. એમનાં બાળકો હજુ નાનાં હતાં. જનુભાઈ અને તેમનાં પત્ની મૃદુલાબેન – બંને ખૂબ ભલાં, માયાળુ અને મળતાવળાં સ્વભાવનાં હતાં. હું એમનો કલાર્ક હતો પણ તેમણે તેમના સ્વભાવ પ્રમાણે ગામમાં રહ્યા ત્યાં સુધી મને નાનોભાઈ જ ગણ્યો હતો. તેમાંયે મૃદુલાબેન તો ખાસ. એમનો સ્વભાવ આનંદી, ઉદાર અને પ્રેમાળ. બે-ચાર દિવસે ઘરમાં કંઈક નવીન જમવાનું બનાવે એટલે મારે વગર આનાકાનીએ એમને ત્યાં રોકાઈ જવું પડે. જો કંઈ હા-ના કરું તો મારે બેનના અનેક પ્રશ્નોના જવાબ આપવા પડે, એ પછી મારી ના પાડવાની હિંમત જ ન થાય ! એ વખતે જનુભાઈનો આ બાબો પાંચ-છ વર્ષનો હશે. એ જમાનામાં તેની ઉંમરના બધા છોકરા શાળાએ જાય ત્યારે ઘરેથી દશિયું કે પાવલી લઈને નીકળે. બજારમાંથી પીપરમીટ-બિસ્કીટ જેવું ખાવાનું લેતાં જાય. બાળકોની ભાષામાં એને ‘ભાગ’ કહે. આજે સુધરેલી ભાષામાં એને ‘પોકેટમની’ કહે છે. મનહર પણ એ માટે અમારી ઑફિસે જનુભાઈ પાસે આવે.
જનુભાઈની માન્યતા એવી કે બાળકોને બહુ પૈસાના હેવાયા ન કરાય. એ બજારમાં જેવી તેવી ચીજો ખાઈને તબિયત બગાડે. વળી સાથે સાથે ખરાબ ટેવ પણ પડે. આવા કારણે મનહર જનુભાઈ પાસે પૈસા માંગતાં અચકાય પરંતુ બાળસહજ સ્વભાવને કારણે લાલચ છોડી ન શકે. તેને ઑફિસની લૉબીમાં આમતેમ આંટા મારતો જોઈ હું સમજી જતો. મને બાળકો પ્રત્યે પહેલેથી લાગણી વધારે. એથી મારા ટેબલેથી ઊઠીને હું બહાર આવી, મનહરના હાથમાં એકદમ દશિયું કે પાવલી પકડાવી રવાના થવાનો ઈશારો કરું. એ રાજી રાજી થઈ દફતર ઝુલાવતો નિશાળે ઉપડી જતો. નાનાં બાળકોની ખાસિયત હોય છે કે એમને એક વખત કંઈક ગમતું આપો એટલે એ દરવખતે તમારી પાસે અપેક્ષા રાખે છે. તેના તરફ લાગણી બતાવો એટલે તરત એનામાં પડઘો પડે છે. તમારા સારાનરસા ભાવો તે ઓળખી લે છે. અમારે પણ આવું જ થયેલું. મનહર હવે રોજ આવે. ઑફિસની લૉબીમાં જનુભાઈ ન દેખે એમ ઊભો રહી મારું ધ્યાન ખેંચવા ઈશારા કરે. હું બહાર નીકળી જનુભાઈની જાણબહાર મનહરને પોકેટમની પકડાવી દઉં…એ ખુશ થઈ કૂદતો કૂદતો રવાના થઈ જાય… એને જોઈને મને પણ આનંદ થયો.
આ મનહર નાનપણે બહુ તોફાની હતો. શાળામાં અને શેરીમાંથી ક્યારેક ક્યારેક એની ફરિયાદ આવતી. જનુભાઈ જરાક કડક થઈને મને ટકોર કરતાં : ‘તમે મનુને પૈસા આપીને બગાડો છો.’ હું એમને જવાબ દઈ દેતો કે, ‘બાળકો નાના હોય ત્યારે તોફાની જ હોય. મોટા થાય અને વેળા પડે ત્યારે આપમેળે સુધરી જાય. તમે રોજ સવારમાં પૂજા કરો છો એ કાનુડો નાનો હતો ત્યારે કેવો તોફાની હતો ! મોટો થયા પછી જગતને કેવી ભેટ આપી ? મનુ પણ આપમેળે ગંભીર થઈ જશે….’
આ વાતને ત્રીસ-પાંત્રીસ વર્ષ થઈ ગયેલાં. દરમ્યાન જનુભાઈને પ્રમોશન મળતાં તાલુકા મથકે ગયેલા અને આમ જ સમય પસાર થતાં ઓચિંતા એમને ઈશ્વરના ઘરનું તેડું પણ આવી ગયેલું. હું પણ ઉંમરના કારણે નિવૃત્ત થઈ ગયેલો. સંસારની અનેક જંજાળોમાં મને એ બધી વાતો વિસારે પડી ગઈ હતી પરંતુ મનહરના નાનપણના કોરી પાટી જેવા માનસમાં અંકાઈ ગયેલા આ પ્રસંગો, બાળપણની ખેલકૂદની એ જગ્યા અને મિત્ર જેવા થઈ ગયેલા આ રણછોડભાઈ મોટપણે પણ તેને વિસરાયા નહોતા. આ બાજુ આવવાનું થતાં આજે તેઓ મને મળવા અને બાળપણની જૂની વાતો અને યાદો તાજી કરવા ઘણે દૂરથી ગાડી લઈને સહકુટુંબ – પત્ની માયાબેન, બેપુત્રીઓ લોપા અને પૌલોમી તથા પુત્ર આદિત્ય સાથે ખાસ પધારેલા.
થોડી જૂની વાતો કરી લીધા પછી મેં પૂછ્યું : ‘ભાઈ, હવે કોઈ વ્યવસાયમાં છો કે સર્વિસમાં ?’
‘હું સેસન્સ કોર્ટમાં જજ છું. હમણાં જ મારી બદલી અમદાવાદ થયેલ છે. ત્યાંથી અમે બધાં આવીએ છીએ.’ તેમની વાત સાંભળી હું ખૂબ શરમિંદો થઈ ગયો. અત્યાર સુધી મેં તેને મનહર જ ગણીને વાતચીતમાં તુંકારો ભણ્યો હતો. મને બહુ રંજ અને સંકોચ થયો. મારે હવે ‘મહેતા સાહેબ’ નામથી જ ઉદ્દબોધન કરવું જોઈએ એમ લાગ્યું. વળી પાછા અમે વાતોએ વળગ્યાં. વાતવાતમાં ભૂતકાળનો એક પ્રસંગ સમયનાં પોપડાં ઉખેડીને યાદ આવ્યો.
2જી જુલાઈ, 1960ના રોજનો દિવસ ઊગ્યો. જો કે એ દિવસ દેખાયો નહોતો. બે દિવસથી ધોધમાર વરસાદ વરસતો હતો. તેમાં આગલી રાતે ઉબેણ નદીના મથાળે આવેલા ભેંસાણ-રાણપુર પાસે વહેલી સવારે વાદળ ફાટ્યું ! અમારી આ ઉબેણ લોકમાતા મટી જઈને વિકારળ સ્વરૂપમાં બદલાઈ ગઈ હતી… કાંઠાની બધી મર્યાદા છોડી ઊભરાઈ પડી…ગાંડી થઈ ગઈ હતી… તેના કાંઠાના પંદરેક ગામોને બેરહમ થઈ ઘમરોળી નાખ્યાં. એમાં અમારું ગામ મજેવડી પણ આવી ગયું. એ વખતે ખેડુતો, વસવાયાં, મજૂરો, કોળી, વાઘરી, હરિજનો… બધાંનાં ઘરો જૂનવાણી ઘરેડનાં ગરમાટીનાં હતાં. તેઓ ઉબેણનો આ કોપ ન જીરવી શક્યાં. ગામમાં પાણી ફરી વળતાં બધાં ઘર ધરાશાયી થઈ ગયાં ! તેમાં યે નબળા વર્ગનાં તો તમામ ઘર અને ઘરવખરી સહિત બધું જ સાફ થઈ ગયું….! તેઓ માંડ જીવ બચાવી રાતોરાત બાળ-બચ્ચાં સાથે ઉંચાઈ પર આવેલું પંચાયતનું જે કમ્પાઉન્ડ હતું ત્યાં આશરો લેવા આવી ગયાં. એ વખતે જનુભાઈ હજુ તાજા જ બદલી થઈને આ ગામે આવેલાં. તેઓ પંચાયતના કમ્પાઉન્ડમાં સામેના ભાગમાં રહેતા હતાં. તેમણે તરત ઊઠીને આ લોકોને પંચાયત કચેરીના રૂમ અને લોબીમાં તેમજ બાજુમાં જ પ્રસુતિગૃહનું મોટું મકાન તૈયાર થયેલું હજી ખાલી હતું – ત્યાં સગવડ કરી આપી. વધારાનાં હતાં એમનો પોતાની લોબીમાં સમાવેશ કરી આપ્યો. આવી સ્થિતિમાં તેમનાં બાળકોને રોક્કળ કરતાં જોઈને મૃદુલાબેનનું હૈયું કકળી ઊઠ્યું. આ રાતના અંધારામાં તો બીજું કંઈ થઈ શકે એમ નહોતું એટલે એમણે પાડોશમાંથી મળે એટલું દૂધ મેળવીને ચુલા ઉપર ચાનો ટોપ ચડાવી દીધો ! બધાંને એવે વખતે ચા પીવડાવીને ટાઢ ઉડાડવાની કોશિશ કરી. ઘરમાં બાળકો માટે સુકા નાસ્તાનો ડબ્બો ભર્યો હતો, તે સૌ બાળકોને આપીને રડતાં બાળકોને છાનાં રાખ્યાં… જનુભાઈનું પણ દિલ દ્રવી ઊઠ્યું. એમણે તરત જ ચાલુ ચુલાએ જ સાઠથી સિત્તેર માણસો માટે ખિચડીનું આંધણ મુકાવી દીધું. ઘરનાં બધાં સેવામાં લાગી ગયાં.
સવાર થયું. ગામ આગેવાનો એક પછી એક આવ્યા. આ વ્યવસ્થા જોઈ તેઓ તાજુબ થઈ ગયાં. પછી બધાએ મળીને તાત્કાલિક આ બધાની વ્યવસ્થા હાથોહાથ સંભાળી લીધી. એ જમાનામાં ફોનની સગવડ નહોતી. રેડિયો કે ટીવી પણ નહોતાં. વાહનવહેવાર પણ ખોરવાઈ ગયો હતો. ખાલી પ્રાદેશિક છાપાં આવતાં. આથી આ હોનારતનો દૂર કોઈ સેવાભાવી સંસ્થાઓ કે શેઠિયાઓ સુધી હજુ પડઘો પડ્યો ન હતો. સ્થાનિક આગેવાનોને પણ સૌસૌના પ્રમાણમાં મકાન, ઘરવખરી અને ખેતીનાં નુકશાન થયાં હતાં. બધાંની સાથે જનુભાઈ જોડાઈ ગયાં. આ કામ કરતાં કરતાં ચોથે દિવસે જનુભાઈએ મને એક બાજુ લઈ જઈ કહ્યું : ‘રણછોડભાઈ, આપણે કોઈ ન જાણે એમ એક ખાનગી કામ કરવાનું છે…..’ એમ કહીને એમણે મારા હાથમાં મૃદુલાબેનની બે સોનાની બંગડીઓ મૂકી, ‘આને વટાવીને જે પૈસા આવે તે લઈ આવો….’
હું મૂઢ બનીને બેઉની સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો : ‘ભાઈ, આટલું બધું આ શું કરવા ?….’
‘તમે સમજો… ઈશ્વરે આપણને આ મોકો આપ્યો છે…. માણસથી વધારે શું છે બીજું ?’
હું જવાની તૈયારી કરતો હતો ત્યાં રાજકોટથી રામકૃષ્ણ આશ્રમ તરફથી રાહતની તમામ સામગ્રી લઈ બે ગાડીઓ આવી. મેં હાશકારો લઈ હસ્તે મુખે બેનના હાથમાં બંગડી પાછી આપી. ઊભરો ભરાઈ આવ્યો અને એમની આંખો ભીની થઈ ગઈ…
સામાન્ય રીતે નોકરિયાત ઘરોમાં અને ગામમાં તલાટી તથા પોલીસની છાપ પરાપૂર્વથી ખરાબ હોવાની માન્યતા હોય છે. સમાજ માને છે કે તલાટી અને પોલીસમાં કોઈક અપવાદ સિવાય કોઈ સારા હોતા નથી ! જનુભાઈ અને મૃદુલાબેને આ માન્યતાનો છેદ ઉડાડી નાખ્યો ! ઉપરોક્ત પ્રસંગ એ ભયાનક ઓછાયો હતો. આજે પચાસ વર્ષ પછી પણ એ ભુલાતો નથી. જનુભાઈના સુપુત્ર મનહરભાઈ સાથે આવા અમે અનેક સંભારણાંઓ યાદ કરીને હરખભેર છૂટાં પડ્યાં.
આ મુલાકાત પછી તેમની બદલી જામનગર, ભાવનગર એવી ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં થયેલી અને છેલ્લે તેઓ ધોરાજી હતાં. તેમના વર્તનમાં જરાય મોટાઈ નહીં. હું નાનો કર્મચારી અને ગામડાનો ખેડૂત માણસ છું એવા ભાવથી મનહર સાહેબે ક્યારેય અતડાપણું બતાવેલું નહીં. સાવ જનુભાઈ અને મૃદુલાબેન જેવા નિખાલસ… ઘરમાં બધાં જ સંસ્કારી. કોઈને મોટા હોદ્દાનું કોઈ ગુમાન નહીં. એક વખત મનહરભાઈને મેં પૂછેલું, ‘સાહેબ, હું માનું છું ત્યાં સુધી તમારા માટે કોડ ઑફ કન્ડકટ એવો હોય છે કે જાહેરમાં બધાં સાથે બહુ હળીમળી ન શકાય કે એવા સંપર્કો રાખી ન શકાય. શક્ય એટલી અલિપ્તતા જાળવવી જોઈએ. તો આપણા સંબંધોથી તે બાબતે કંઈ હરકત તો ઊભી નથી થતીને ?’
‘જુઓ વડીલ, અમે જજ પણ આખરે તો માણસો જ છીએ ને ! અમેય સમાજનું એક અંગ છીએ. અમારેય સામાજીક પ્રસંગો અને વહેવારો હોય છે. હા, એટલું ખરું કે એ સંબંધોનો ક્યારેય દૂરઉપયોગ ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. બાકી, આપણે માણસ એટલે સામાજીક પ્રાણી… સમાજથી અલિપ્ત કેવી રીતે રહી શકીએ ? અને તમે તો મારા અંગત ગણાવ, આપણે ક્યારેય વ્યવસાયની વાતો નહીં કરીએ….’
એમને વાંચનનો શોખ પણ સારો. મારી ઘણી બધી વાર્તાઓ વાંચી મને પ્રોત્સાહિત કરતા. મને પણ તેમની સાથે વાર્તાલાપમાં આનંદ આવતો. અમારા ગામની પૂર્વે ઉબેણ નદીના સામે કાંઠે જાગનાથ મહાદેવનું પુરાણું મંદિર છે. ગામથી અલગ એકાંતમાં આ સ્થળ આવેલું છે. આજુબાજુ ઝાડની ઘટાઓ છે. સંસારની જંજાળોથી થાકેલા માણસને બેઘડી શાંતિ મળે એવું એકાંત છે. મહેતાસાહેબ શ્રદ્ધાળુ જીવ. ધોરાજીથી જૂનાગઢ વળતાં વચ્ચે ઘણી વખત મંદિરે આવી કલાક બે કલાક બેસી શાંતિ મેળવી માનસિક બોજ હળવો કરી જાય… આમ એ બાળપણના તોફાની મનુએ મોટપણે ‘મહેતાસાહેબ’ થઈ જનુભાઈ અને મૃદુલાબેનના સંસ્કારનો વારસો જાળવી રાખ્યો છે.

પ્રભુના લાડકવાયા – ગુણવંત શાહ

મારા ગામ રાંદેરથી સાતેક કિલોમીટર દૂર તાપી નદીના ભાઠામાં વરિયાવ ગામ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં ડૉક્ટર કુમારકાંત દિવાનજીનું દવાખાનું ગરીબો માટે સેવાધામ બની ગયું હતું. સફેદ ખાદીના પેન્ટ સાથે સફેદ ખમીસ (ઈન્સર્ટ)માં સજ્જ એવા કુમારકાંતભાઈ સંસારમાં એકલા હતા. આસપાસનાં ગામોમાં એમની સેવાસુગંધ પ્રસરેલી હતી. તેમને ત્યાં નટવર નામનો કમ્પાઉન્ડર પણ હતો અને રસોઈયો પણ એ જ ! હું અને રમણ 1957માં ભૂદાન-પદયાત્રામાં ડૉક્ટરને ત્યાં રહીને આસપાસનાં ગામોમાં પ્રચાર માટે જતા. ડૉક્ટરની સારવાર પામેલા કેટલાય લોકો આજે પણ એ ગામોમાં જીવતા હશે. દાંડી પાસે આવેલા કરાડી ગામે સેવાની ધૂણી ધખાવીને બેઠેલા જાણીતા લોકસેવક સદગત દિલખુશભાઈ દિવાનજીના તેઓ નાના ભાઈ થાય. ડૉ. કુમારકાંત લોકસેવકના ગણવેશ વિનાના ગાંધીજન હતા. સેવાભિમાન વિનાની સેવા અને સહજને કિનારે ચાલતું જીવન !
ગામના તળાવમાં જ્યારે નાનું ઢેફું ફેંકવામાં આવે ત્યારે પાણીની સપાટી પર કૂંડાળાં સર્જાય છે. ધીરે ધીરે એ કૂંડાળાં મોટાં ને મોટાં થતાં જાય છે અને આખા તળાવમાં વ્યાપી વળે છે. મોટાં કૂંડાળાં દેખાતાં નથી, પરંતુ એમનું પ્રસારણ અટકતું નથી. આપણા દ્વારા થતું નાનકડું કર્મ પણ લગભગ એ જ રીતે જે વલયો સર્જે એ પ્રસરે છે. બધું દેખાતું નથી, પરંતુ જે ન દેખાય એ નથી, એમ કહેવાનું યોગ્ય નથી. કહેવું હોય તો કહી શકાય કે સમગ્ર વિશ્વ સતત થતાં રહેતાં કર્મોનું વિરાટ નેટવર્ક છે. કરોળિયાના જાળા જેવા એ નેટવર્કમાં વ્યવસ્થા છે, ગોટાળો નથી. It is cosmos and not chaos. લોકો વાતવાતમાં જેને નિયતિ (destiny) કહે છે એ રામને પણ છોડતી નથી. જે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમણે ચૌદ વર્ષ માટે વનની વાટ પકડી હતી. કોઈ પણ કર્મ પરિણામ વિનાનું (ઈનકૉન્સિક્વેન્શિયલ) હોય છે ખરું ? કર્મનો કાયદો એમ કહે છે કે જ્યાં કર્મ હોય ત્યાં એનું પરિણામ હોવાનું જ. આ સૃષ્ટિમાં કારણ (cause) અને અસર (effect)ની અતૂટ સાંકળ (ચેઈન રીએકશન) સતત ચાલ્યા જ કરે છે. જેવું કર્મ એવું એનું પરિણામ !

નાના હતા ત્યારે એક કથા સાંભળી હતી. એક વાર યમરાજા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. પ્રવેશદ્વારની જમણી બાજુએ ગરુડ પર એમની નજર પડી. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગણાય છે. એ પ્રવેશદ્વારની ડાબી બાજુએ યમરાજે એક ચકલીને જોઈ ત્યારે એમને ભારે આશ્ચર્ય થયું. યમરાજ તો અંદર ગયા, પરંતુ ચકલી ભયથી ફફડી ઊઠી. ચકલીને થયું કે યમરાજે જે રીતે આશ્ચર્ય પ્રગટ કર્યું એ જોતાં હવે મૃત્યુ દૂર નથી. પાસે ઊભેલા ગરુડે ચકલીને ભયથી ધ્રૂજતી જોઈ. ગરુડે ચકલીને આશ્વાસન આપ્યું અને કહ્યું : ‘તું ચિંતા ન કર. હું પવનની ઝડપે ઊડીને તને આ જ ક્ષણે મારી પીઠ પર બેસાડીને દૂર દૂર આવેલા ગંધમાદન પર્વત પર મૂકી દઉં છું.’ ચકલીબહેન તો ગંદમાદન પર્વત પર પહોંચી ગયાં અને એમને પહોંચાડીને ગરુડ તો તરત પાછું વૈકુંઠ આવી પણ ગયું ! ગરુડે પોતે જે કર્યું એ બદલ અંદરથી બહુ ખુશ હતું. યમરાજ જ્યારે વિષ્ણુ ભગવાનને મળીને પાછા ફર્યા ત્યારે એમણે ગરુડને પૂછ્યું : ‘પેલી ચકલી ક્યાં છે ?’ ગરુડે કહ્યું કે ચકલી તો ખૂબ દૂર પહોંચી ગઈ છે.’ યમરાજ વિચારમાં પડી ગયા. વિષ્ણુ ભગવાનની લીલા કેવી રહસ્યમય છે ! એમણે ગરુડને કહ્યું : ‘અંદર જતી વખતે મેં ચકલીને અહીં જોઈ ત્યારે મને ભારે આશ્ચર્ય થયેલું કે આ ચકલી તો ગંધમાદન પર્વત પર સમડીને હાથે મરવાની છે. એ ત્યાં આટલી ઝડપથી શી રીતે પહોંચશે ? નિયતિ જ એને ગંધમાદન પર્વત પર લઈ ગઈ !’
ઘોડાની પાછળ ગાડી હોય તો જ ઘોડાગાડી ચાલે. પુરુષાર્થ કર્યા પછી નિયતિ પ્રમાણે જે થવાનું હોય તે થાય, પરંતુ કર્મ કરવામાં કરકસર ન ચાલે. ઘોડાની આગળ ગાડી મૂકવાથી કશુંય ન વળે. ખરો રસ્તો એક જ છે : ‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’
જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !
[2] ખરી પડેલા પુષ્પની સુગંધ
કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તોય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?
નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રને સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !
જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો. એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :
અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.
કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :
‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !
જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે. મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?
પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને. માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.

Sunday, June 3, 2012

ત્રણ પાળીમાં ચાલતું બજાર



ગભગ 15મી સદીની આસપાસ કોઈ સંત માણેકબાબાના નામ પરથી અમદાવાદની વચ્ચોવચ્ચ આવેલા ચોકનું નામ ‘માણેકચોક’ પડ્યું. અહીં આખો દિવસ માનવ મહેરામણ ઉભરાય છે. સવારે વહેલા અહીં શાક-બકાલું વેચાય છે. પછી સોનીબજાર ધમધમે છે અને રાતે ખાણીપીણીનું બજાર મોડી રાત સુધી ચાલતું હોય છે. આ માર્કેટ ચોવીસેય કલાક ખુલ્લું હોય છે.
આ બજાર એ રાણીના હજીરાની અડીને ઉભી હરોળમાં આવેલું છે વચ્ચે સરસ મજાનો ચોક પડે છે. અહીંનું સોનીબજાર ગુજરાતનું સૌથી મોટું સોનાચાંદીનું બજાર છે. અને ખાણીપીણીનું બજાર પણ વર્ષો જૂનું છે. માણેકચોકમાં તમે રાતે જાવ ત્યારે તમને દિવસ કરતાંય વધારે ભીડ જોવા મળે. ખાણીપીણીનો તો જાણે મેળો જામ્યો. જાત જાતના ભાતભાતના નાસ્તાની લારીઓ અને દુકાનો હારબંધ દેખાય. અહીંની દુકાનો 1942 પહેલાની છે. અમુક તો પેઢીઓ છે. તેમના લાયસન્સ બ્રિટીશરોના જમાનાના છે. માણેકચોકમાં રાણીના હજીરાની લાઈનમાં જે દુકાનો છે તે સૌથી જૂની છે. વચ્ચેના ચોકની ભાજીપાઉં અને બીજા ફાસ્ટફૂડની દુકાનો 30 થી 40 વર્ષ જૂની છે. હાલમાં આ દુકાનો દુકાન શરૂ કરનારની ત્રીજી કે ચોથી પેઢી ચલાવે છે. આપણા પરંપરાગત નાસ્તા તો ખરાં જ અને સાથે સાથે વિદેશીફૂડનું દેશીકરણ થઈને ઈન્ડોવેસ્ટર્ન ફૂડ પણ અહીં ઉપલબ્ધ છે. આ માણેકચોકમાં દુકાનદારોનો રોજનો વકરો લાખોમાં છે. માણેકચોકનું એક સુત્ર છે : ‘ધરાઈને ખાશો તો ધાર્યું થશે.’

રાતના દસ-સાડા દસ વાગે એટલે આ નાસ્તાબજારની લારીઓ પોતાની દુકાનો જમાવવા લાગે છે અને તે છેક સવારના ત્રણ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તાથી આવનારના મન જીતી લે છે. આમ તો સરકારે રાતે દોઢ વાગ્યા સુધીની જ પરવાનગી આપેલી છે પરંતુ બધું આટોપતાં સવારના ત્રણ વાગી જાય છે. જ્યારે અમે ત્યાંના ગરમાગરમ ગાંઠિયા અને ફાફડાની લહેજત માણનારા ગ્રાહકોને પૂછ્યું કે આટલી રાતે અહીં નાસ્તો કરવા આવવાનું કારણ શું ? ત્યારે એમણે સરસ જવાબ આપ્યો, ‘હું કેનેડાથી આવું છું. દર શિયાળામાં બે મહિના ઈન્ડિયા આવવાનું થાય ત્યારે અઠવાડિયામાં બે વાર તો આ માણેકચોકની મુલાકાતે આવવાનું જ. અમે પહેલા દરિયાપુરની પોળમાં રહેતા હતા, હાલમાં અમે નારણપુરામાં રહીએ છીએ. પણ તેમ છતાં, હું અહીં આ ગાંઠિયા ખાવા આવું છું. વિદેશમાં આખુ વર્ષ મને આ સ્વાદ યાદ આવે છે અને હું અહીં વીતાવેલી ક્ષણોને વાગોળ્યા કરું છું.’ આ શબ્દો છે પોતાના પરિવાર સાથે માણેકચોકમાં ફાફડાની જ્યાફત ઉઠાવવા આવેલા નલીનભાઈ પટેલ અને અર્ચીતાબહેન પટેલના.
આ તો થઈ એન.આર.આઈની વાત પણ આપણને એમ થાય કે આ લોકો આટલી મોડી રાતે સ્પેશ્યલ નાસ્તો કરવા શા માટે છેક માણેકચોક સુધી લંબાતા હશે ? તો તેના કારણો જુદાજુદા છે. જેમ કે, જયશ્રીબહેન સોની અને ભરતભાઈ સોની કાંકરિયા રહે છે. તેમ છતાં તેઓ અહીં આવે છે. અહીં પાણીપૂરી અને ભેળની મજા માણી રહેલા આ કપલને અમે પૂછ્યું કે તમે અહીં કાયમ આવો છો ? તો તેમણે જવાબ આપ્યો કે, ‘છેલ્લાં ત્રીસ વર્ષથી હું અને મારી પત્ની બંને દર શુક્રવારે અને રવિવારે માણેકચોક અચૂક આવીએ અને ભેળ તથા પકોડી તો ખાઈએ જ ખાઈએ. સાથે સાથે હમણાંથી અમે કલબ સેન્ડવિચ પણ ટ્રાય કરીએ છીએ.’ માણેકચોકમાં દહીંવડા અને નવતાડના સમોસાનો સ્વાદ માણી રહેલા જાણીતા કોલમીસ્ટ અને લેખક મંગલ દેસાઈને જ્યારે અમે પૂછ્યું કે, આટલી રાતે માત્ર નાસ્તો કરવા જ અહીં આવો છો કે બીજું પણ ખાસ કારણ છે ? તેમણે હસતાં હસતાં જણાવ્યું કે, ‘જમવાની જ્યાફત ઉઠાવવા તો આવીએ જ છીએ પણ મને ગુજરાતી નાટકો લખવાનો અને ડિરેક્ટ કરવાનો અને જોવાનો ખુબ શોખ છે. એટલે જ્યારે આ શો પૂરો થાય ત્યારે રાતના બાર વાગી ગયા હોય. આખા દિવસની મહેનત અને રિહર્સલને કારણે કલાકારોથી લઈને તેમને સપોર્ટ કરનારા તમામ લોકો થાકી ગયા હોય. ત્યારે અમદાવાદમાં બીજે ક્યાંય તમને આટલો ગરમાગરમ અને તાજો નાસ્તો ના મળે. અને વળી જે તમને ભાવતું હોય તે ! આવી ચોઈસ બીજે ક્યાં મળે. હું કિશ્ન નગર રહું છું છતાં મને અહીંનું ફૂડ કોઈ ફાઈવસ્ટાર હૉટલ જેટલું જ ભાવે છે !’
ત્યાં પેઢીઓથી ધંધો કરતાં સોહમલાલાને જ્યારે અમે પૂછ્યું કે ઘરાકી કેવી રહે છે ? ત્યારે તેમણે કહ્યું કે, ‘વર્ષોથી અહીં તમને હંમેશાં માણસોની ભીડ જોવા મળે જ. હા, થોડા સમય માટે ઘરાકીમાં ઘટાડો થયો હતો પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો ઘરાકીમાં એકદમ ઉછાળો આવ્યો છે.’ રાતે આ ખાણીપીણીના મેળામાં એક સામાન્ય સ્ટુલ પર સેન્ડવિચનું બોર્ડ લાગેલું હતું. જ્યારે અમે ત્યાં જઈને ત્યાં અશોક સ્ટવ પર કલબ સેન્ડવીચ બનાવી રહેલા પ્રાણલાલ સોનીને પૂછ્યું કે તમે મહિને કેટલું ભાડું ચૂકવો છો ? તો તેમણે જવાબ આપ્યો, ‘કંઈ નહીં, માત્ર જે લાઈટ બીલનો ખર્ચ આવે તે અમારે ચૂકવવાનો હોય છે. અમે જગ્યાનું કોઈ ભાડું ચૂકવતાં નથી.’ આમ જોવા જાવ તો આ સુરક્ષાનો એક સરળ અને સરસ માર્ગ છે. આટલા મોટા સોનીબજારમાં જો સિક્યોરીટી રાખવાં જાય તો કેટલો બધો ખર્ચ આવે ! એના કરતાં આ દુકાનદારો ખાણીપીણીના સ્ટોલ લગાવવા દે છે જેથી તેમની દુકાનોની ચોકી પણ થાય અને ખાણીપીણીવાળાનો બિઝનેસ પણ ! મોટાભાગે માણેકચોકમાં રાતે ચોરી ન થવા પાછળ આ જ કારણ હશે. બીજું એ કે અહીં જે લોકોની ભાજીપાઉં, સેન્ડવીચ, સમોસા, ગાંઠીયાં, જલેબી, કુલ્ફી, આઈસ્ક્રીમ, પીત્ઝા, બર્ગર કે તમામ નાસ્તાની દુકાનો છે તેઓ દિવસે બીજે ક્યાંક નોકરી ધંધો કે વ્યવસાય પણ કરે છે. એટલે વગર રોકાણનો આ એકસ્ટ્રા ધંધો કહી શકાય. જો એક દિવસનું માણેકચોકની ખાણીપીણીની દુકાનોનું કાઉન્ટર ગણો તો 5 થી 10,000 જેટલું હશે.
હવે તો સરકાર કોઈ નવી દુકાનોને લાયસન્સ આપતી નથી. પણ જેટલી છે તે દુકાનો રાતે માણેકચોકની રોનકમાં ઓર વધારો કરે છે. પશ્ચિમ વિસ્તાર એટલે કે અમદાવાદમાં સાબરમતીની આ બાજુએ તો હજુ હમણાં રાત્રિબજારનો કન્સેપ્ટ અમલમાં આવ્યો છે પણ પૂર્વવિસ્તારમાં તો આપણને આઝાદી મળી તે પહેલાનું રાત્રિબજાર ધમધમે છે.

ચીનના પ્રજ્ઞાચક્ષુ માનવ અધિકારવાદીઃ ચેન ગ્વાંગચેંગ



હોલિવુડની મસાલા ફિલ્મોને ટક્કર મારે એવા ઘટનાક્રમમાં, ૪૦ વર્ષના અંધ કર્મશીલ ચેન ગ્વાંગચેંગ ચીની સરકારના લોખંડી ચોકીપહેરાને અંધારામાં રાખીને નાસી છૂટવામાં સફળ થયા. તેમના સાહસથી ચીનનું નાક કપાઇ ગયું ને દુનિયાની આંખો ઉઘડી ગઇ
ચેન ગ્વાંગચેંગ /chen guangcheng with his wife 

ઇશ્વરની કૃપા થાય તો પંગુ પર્વત ઓળંગી શકે ને મૂંગા બોલતા થઇ જાય, એવો જાણીતો શ્વ્લોક છે. પરંતુ બધાને ઇશ્વરની કૃપા માટે રાહ જોઇને બેસી રહેવાનું મંજૂર હોતું નથી. પોતાના મરણીયા પ્રયાસ અને ઇશ્વરની કૃપા વચ્ચે તેમને મન કશો ફરક હોતો નથી. ચીનના, હવે વિશ્વવિખ્યાત કર્મશીલ, ચેન ગ્વાંગચેંગ/Chen Guangcheng એનું તાજું ઉદાહરણ છે. 
‘માનવ અધિકારવાદી’ અને ‘કર્મશીલ’ જેવા શબ્દોની- તેની સાથે સંકળાયેલી કામગીરીની તમામ આપખુદ શાસકોને અને તેમનાં વાજિંત્રોને એકસરખી એલર્જી હોય છે- એ વાત ચાહે ગુજરાતની હોય કે ચીનની. ગુજરાત ભારતમાં હોવાને કારણે, રાજ્યની ઘણી લોકશાહી સંસ્થાઓને સરકારે પંગુ બનાવી દીધા પછી પણ, મૂળભૂત લોકશાહી તેનાં મૂળીયાં સહિત અડીખમ છે. એ બાબતમાં ચીનનો ઇતિહાસ અને વર્તમાન ભયંકર છે. સામ્યવાદી પક્ષના એકહથ્થુ, એકપક્ષીય શાસનમાં  સરકારની સેન્સરશીપ અને તેની ધાક એવાં મજબૂત છે કે તેમની ઇચ્છા વિના પાંદડું પણ હાલી ન શકે. વાસ્તવિક દુનિયાની વાત તો છોડો, ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ ચીનની સરકારનું મોટું ગળણું ઇચ્છે એટલી જ માહિતી લોકો સુધી પહોંચે. પરંતુ આ વર્ષે ચીનની સરકારની હાલત, ‘શોલે’માં ‘અંગ્રેજકે જમાનેકે જેલર’ અસરાની જેવી થઇઃ ‘અમારી ઇચ્છા વિના પારેવું પણ ફરકી શકતું નથી’ એવો સરકારનો ફાંકો એક પ્રજ્ઞાચક્ષુ વિદ્રોહી ચેને ઘૂળચાટતો કરી દીધો. 
ચેન ગ્વાંગચેંગને ખરેખર તો વિદ્રોહી પણ ન કહેવાય. નાનપણથી દૃષ્ટિ ગુમાવી ચૂકેલા ચેને મોટી ઉંમરે, બાકાયદા નહીં પણ અનૌપચારિક રીતે, કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે ‘શારીરિક મર્યાદા ઓળંગીને નમૂનેદાર જીવન જીવનાર યુવાન’ તરીકે સ્થાનિક પ્રસાર માઘ્યમોમાં તેમની પ્રશંસા થતી હતી. પરંતુ કાયદો શીખવા પાછળનો ચેનનો હેતુ ડિગ્રી મેળવીને બેસી રહેવાનો ન હતો. તેમણે સરકારી તંત્રની આપખુદશાહી વિરુદ્ધ સ્થાનિક પ્રજાની ફરિયાદો પર કામ શરૂ કર્યું.  તેમણે પોતાના વતન શેન્દોંગ પ્રાંતમાં કુટુંબ નિયોજનના બહાને થતા અત્યાચારો સામે ઝુંબેશ ઉપાડી. 
એક સમયે ચીની સરકારે પરિવારદીઠ એક સંતાનની રાષ્ટ્રિય નીતિ જાહેર કરી હતી. પરંતુ ચેને કામ શરૂ કર્યું ત્યારે કાયદામાં એવી જોગવાઇ હતી કે કોઇ પરિવાર ઇચ્છે તો ઠરાવેલો દંડ ભરીને તે બીજું સંતાન મેળવી શકે. ચેનની લડત બીજી કોઇ ક્રાંતિકારી માગણી માટે નહીં, પણ આ કાયદાનું યથાયોગ્ય પાલન થાય એટલા પૂરતી જ હતી. પરંતુ ચીનમાં ગમે તેવા કાયદેસર હેતુ માટે, સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એટલે આફતને નોતરું આપવા બરાબર ગણાય. ચેને પોતાના માટે એવાં આમંત્રણોની હારમાળા સર્જી દીધી.
શેન્દોંગ પ્રાંતના અધિકારીઓ સ્થાનિક મહિલાઓનો પરાણે ગર્ભપાત કરી નાખતા કે તેમની પર કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખતા. દંડ ભરીને બીજું સંતાન મેળવી શકવાનો કાયદો હોવા છતાં, આ જબરદસ્તીનું કારણ એટલું જ કે જે પ્રાંતમાં પરિવારદીઠ એકથી વઘુ સંતાનોનું પ્રમાણ વધારે દેખાય, ત્યાંના અધિકારીઓ તેમના ઉપરીઓની નજરમાંથી ઉતરી જતા હતા. તેમની બઢતીની તકો રોળાઇ જતી હતી. એટલે પોતાનો ચોપડો ઉજળો બતાવવા માટે તે બળજબરીથી મહિલાઓને ઓપરેશન કે ગર્ભપાત માટે ધકેલી દેતા. ચેને આ જોરજુલમી સામે કાનૂની લડત આદરી. 
વિરોધથી ન ટેવાયેલા સરકારી તંત્રે ૨૦૦૫માં પહેલી વાર ચેનની ધરપકડ કરી. તેમની સામે અદાલતી કાર્યવાહી થઇ અને ‘ટ્રાફિકને ખલેલ પહોંચાડવા બદલ’ તથા ‘સંપત્તિના નુકસાન’ જેવા બનાવટી આરોપો માટે ચેનને ચાર વર્ષની સજા થઇ. ૨૦૧૦માં સજા કાપીને બહાર આવ્યા પછી પણ ચેનને નજરકેદમાં રાખવામાં આવ્યા. દરમિયાન, માનવ અધિકાર ક્ષેત્રે કામ કરનાર પ્રજ્ઞાચક્ષુ બહાદુર તરીકે ચેન ગ્વાંગચેંગનું નામ પશ્ચિમી દેશોમાં જાણીતું બની ચૂક્યું હતું. 
આખરે એપ્રિલ ૨૨, ૨૦૧૨ના રોજ ચેને એવું પરાક્રમ કરી દેખાડ્યું, જેના વિસ્તૃત ઘટનાક્રમનો તાળો પૂરેપૂરો તો હજુ સુધી મળ્યો નથી, પણ જે બન્યું તેની ‘આઇસન અફેર્સ’ના પત્રકારે મેળવેલી વિગતો  ટૂંકમાં આ પ્રમાણે ઃ પત્નીની મદદથી દીવાલ કૂદીને ચેન બાજુના ઘરના વાડામાં પહોંચી ગયા. કેટલાક અહેવાલ પ્રમાણે આ કામ ચેને ૨૦ એપ્રિલના દિવસે જ પાર પાડી દીઘું હતું. રાત પડ્યા પછી તે અથડાતા કૂટાતા પોતાના ગામમાં થઇને નદી સુધી પહોંચ્યા. આંખોમાં કાયમ અંધારું ઉતરેલું હોય એવા ચેનને બહારના અંધારાથી કશો ફરક પડતો ન હતો. ઉલટું, એ તેમના માટે ફાયદાકારક નીવડ્યું. કારણ કે અંધારામાં પહેરેદારોની દૃષ્ટિ મર્યાદિત બની. એ થોડા ગાફેલ પણ હશે.  
ચેને પહેલાં નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ નદી ઘણી મોટી હતી. એટલે તેમણે પુલ પરથી ચાલીને નદી પાર કરી. પુલ પર પહેરેદારો હોવા જોઇએ, પણ એ ત્યાં ન હતા અથવા ઉંઘી ગયા હતા. પરિણામે, સેંકડો વાર ઠેસઠોકર ખાતા, અથડાતાકૂટાતા ઘાયલ ચેન પુલ ઓળંગીને બીજા ગામ પહોંચી ગયા. ઘરની દીવાલ કૂદતી વખતે ચેનનો પગ ભાંગ્યો હતો. ત્યાર પછી આ સફર ખેડવામાં ચેને કેવા મક્કમ મનોબળથી કામ લીઘું હશે તેની કલ્પના જ કરવી રહી. 
બીજા ગામમાં એક મિત્રને મળ્યા પછી, ત્યાંથી  ચેનના ભાઇ-ભાભીનો સંપર્ક કરવામાં આવ્યો. એ સૌએ મળીને પાટનગર બેજિંગમાં કેટલાક શુભેચ્છકો-મદદગાર મિત્રો સાથે વાત કરી અને ચેનને આશરે ૫૦૦ કિલોમીટર દૂર બેજિંગમાં આવેલા અમેરિકી દૂતાવાસમાં સહીસલામત પહોંચાડ્યા. બે મહિના પહેલાં જ, ચીનના એક મોટા નેતા સાથે સાંઠગાંઠ ધરાવતા અને પછીથી અલગ પડેલા પોલીસ અફસર અમેરિકી દૂતાવાસમાં આશ્રય માટે પહોંચ્યા હતા. તેમને અમેરિકાએ સંઘર્યા ન હતા. પણ ચેનનો કિસ્સો અલગ હતો. ૨૮ એપ્રિલના રોજ ત્યાં પહોંચેલા ચેનને, ચીનની જુલમી સરકારથી સલામત એવા અમેરિકાના કિલ્લેબંધ દૂતાવાસમાં સમાવી લેવાયા.
 શરૂઆતમાં ચેનનું વલણ એવું હતું કે ચીની સરકાર પાસેથી અમુક પ્રકારની ખાતરી મેળવ્યા પછી ચીનમાં જ રહેવું અને લડત આગળ ચલાવવી. પરંતુ બીજી મેના રોજ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. એ દરમયાન અમેરિકાનાં વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન બે દિવસ માટે ચીન જવાનાં હતાં. તેમના પ્રવાસના હેતુ આર્થિક સહિત બીજી બાબતોને લગતી વાટાઘાટોના હતા. પરંતુ તેમની મુલાકાત વખતે ચેનનો મુદ્દો છવાયેલો રહ્યો. 
શરૂઆતમાં ‘આંતરિક બાબતોમાં દખલ’ના મુદ્દે ચીન અમેરિકાથી ખૂબ નારાજ હતું. તેના વિદેશમંત્રીએ એક તબક્કે અમેરિકા પાસેથી માફીની માગણી કરી હતી. પરંતુ હિલેરી ક્લિન્ટનની મુલાકાત પછી એવો વચલો રસ્તો નીકળ્યો કે અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટી ચેનને કાયદાના અભ્યાસ માટે ફેલોશીપ આપે અને એ હેતુ આગળ કરીને ચેન, દેશ છોડી જતા વિદ્રોહી તરીકે નહીં, પણ ચીની સરકારની પરવાનગીથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીની હેસિયતથી, અમેરિકા જાય. 
આ રાજદ્વારી સમાધાન મુજબ ચેન પત્ની-બે બાળકો સાથે અમેરિકા પહોંચી ગયા છે, પરંતુ તેમના પરિવારના બીજા સભ્યો ચીનમાં જ છે. તેમની સાથે અને ચેનને નાસી છૂટવામાં મદદ કરનાર બીજા સાથીદારો સાથે ચીની સરકાર કેવો વર્તાવ કરશે, તે જાણવું અઘરું છે. આખા ચેન પ્રકરણ અંગે ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શીનહ્વાએ ૧૯ મેના રોજ ફક્ત એક જ લીટીનો અહેવાલ જારી કર્યો. તેમાં જણાવ્યું છે કે ‘સંબંધિત વિભાગોમાંથી મળતી માહિતી પ્રમાણે, પૂર્વી ચીનના શેન્દોંગ પ્રાંતના ચેન ગ્વાંગચેંગે કાનૂની રાહે અમેરિકામાં અભ્યાસ માટે અરજી કરી છે.’ 
અભ્યાસ પૂરો કર્યા પછી ચીન પાછા ફરવા ઇચ્છતા ચેનની ઇચ્છા પૂરી થશે કે તે દેશની બહાર રહેતા વઘુ એક વિદ્રોહી નાગરિક બનીને રહી જશે, તે અત્યારે કહેવું અઘરું છે, પણ શારીરિક મર્યાદા અવગણીને ચેને લીધેલા હિંમતભર્યા પગલાથી ચીનમાં નવી હલચલ પેદા થઇ છે અને ચીની સરકાર વઘુ એક વાર કામચલાઉ ધોરણે કફોડી સ્થિતિમાં મૂકાઇ છે. 
તા.ક. ચેન વિશેનાં કેટલાંક સરસ કાર્ટૂન, સંબંધિત કાર્ટૂનિસ્ટો-પ્રકાશનોના સૌજન્યથી
માનવ અધિકાર વિશે ચીની સરકારની 'દૃષ્ટિ' તપાસતા પ્રજ્ઞાચક્ષુ ચેન
નાજુક સંતુલન

ચેનનું અમેરિકાગમનઃ ચીનની દૃષ્ટિએ 

ખતરો હજુ દૂર થયો નથી

અને દૃશ્યાત્મક આલેખનની દૃષ્ટિએ મારું સૌથી પ્રિય

Friday, June 1, 2012

ધોરણ ૧૦ SSC નું પરિણામ

ધોરણ ૧૦ SSC નું પરિણામ જાણવા નીચેની લીંક પર ક્લિક કરો
www.gseb.org
www.gipl.net
www.indiaresult.com

બધા વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ સાથે બેસ્ટ ઓફ લક